ભગવત્ ભાવની ચેતના કહો, કે ઊર્જા શક્તિનો પ્રાણ કહો, કે પ્રભુ શક્તિ કહો, જે પણ સાંપ્રદાયિક ધર્મનું અનુસરણ કરનારા લોકો છે, તેઓ આ ભાવભીની શક્તિને વિવિધ નામથી સંબોધે છે. સંબોધન મહત્ત્વનું નથી, પણ તે પરમ શક્તિની ચેતનાના પ્રભાવને જાણવો તથા જાણીને એની દિવ્યતાને માણવા માટે એનાં સાત્ત્વિક સદ્ગુણોને પરમાર્થી કર્મની ક્રિયાથી પ્રગટાવવા તે જ મહત્ત્વનું છે. એવાં પરમાર્થી કર્મને જ ધર્મનું આચરણ કહેવાય. ધર્મ એટલે જે સાત્ત્વિક ગુણોની ચેતનાને ધારણ કરી છે, તેના પરમાર્થી મર્મને કર્મ સ્વરૂપે પ્રગટ કરવો. પરમાર્થી કર્મ રૂપે ભગવત્ ભાવની ચેતનાના ગુણો જે મન દ્વારા પ્રગટે, તે છે ભક્ત સ્વરૂપનું વર્તન. મનનું એવું ભક્ત સ્વરૂપ આત્મીય ચેતનાના આશ્રયે રહીને સ્વાનુભૂતિની અંતર યાત્રા કરે, તેને કહેવાય અંતર ભક્તિનું સદાચરણ. આમ ભક્તનો હૃદયભાવ પરમાર્થી કર્મ કરે, એટલે કે અકર્તાભાવથી કર્મ કરવાના પ્રયત્નમાં એનો સમર્પણભાવ જાગૃત થતો જાય. આમ મનની સ્વયંને જાણવાની અંતર યાત્રા અકર્તાભાવથી થતી જાય. એટલે પ્રારબ્ધગત કર્મ કરતાં કરતાં જ સ્વયંનો પરિચય થાય એવું ભક્તિભાવનું આચરણ આપમેળે ધારણ થતું જાય. એવાં આચરણથી જીવને જ્યાં સ્થિત થવાનું છે, તે આત્મ સ્થિત અંતર જીવન જીવી શકાય.
મનમાં બીજ પ્રગટાવો ભક્તિનું, જે જિજ્ઞાસુ વૃત્તિને જગાડી સ્વ જ્ઞાનમાં તરાવશે;
ભગવત્ ભાવની શક્તિનું જ્ઞાન પ્રાણમાં છે, તે જ્ઞાનમાં તરવા કરો આત્મ નિવેદન ભક્તિ;
વિવેકી દૃષ્ટિના મનોમંથનથી સ્વમય ચિંતન થાય, તે છે માનવીનું ભૂમિ પરનું ખરું રટણ;
સ્વ જ્ઞાનની ભક્તિ રૂપે અંતરગમન થાય, પછી અંતર ભક્તિ રૂપે દિવ્ય ગુણો પ્રકાશિત થાય.
સૌને એટલી તો જાણ હોય છે કે કોઈક શક્તિ છે ભીતરમાં, જેનાં લીધે જીવન જિવાય છે. તેને જાણવાનો પુરુષાર્થ થાય, ત્યારે સમજાય કે આત્મીય ચેતનાનો ગુણિયલ પ્રભાવ છે, જે સૃષ્ટિની વિવિધ કૃતિઓ રૂપે અભિવ્યક્ત થાય છે. તે દિવ્ય ચેતનાની ઊર્જા શક્તિને જોવાની નથી પણ એની ગુણિયલ પ્રતિભાને અનુભવવાની છે. એવાં અનુભવ રૂપે મનનું સંકુચિત અહંકારી માનસ વિલીન થતું જાય અને સાત્ત્વિકભાવની જાગૃતિ થાય. ચેતનાનો પ્રભાવ જાણવા માટે આપણાં દેહના અંગોની પ્રક્રિયાનો જો ભાવાર્થ ગ્રહણ થાય તો અહંકારી માનસની જડતા ઘટતી જશે. કારણ અંગેઅંગની ક્રમબદ્ધ થતી પ્રક્રિયાનો સારાંશ જ્યારે સમજાય, ત્યારે મનની અહમ્ વૃત્તિને પોતાની પામરતાનો અહેસાસ થાય છે. જેમકે લોહીની અખંડ ગતિની ક્રિયા વિશે અલ્પ પ્રમાણમાં પણ જો સમજાય, તો મન આશ્ર્ચર્યભાવમાં ધ્યાનસ્થ થઈ જશે. લોહીની ક્રિયા વિશે પૂર્ણ રૂપે સમજી શકાય એમ નથી. છતાં વૈજ્ઞાનિક જ્ઞાનના સહારે સમજવામાં આશ્ર્ચર્ય થશે કે ‘આટલી વિશાળ સ્વરૂપની ક્રિયાઓ મારા શરીરમાં થાય છે છતાં તે વિશાળતાને હું અનુભવી શકતો નથી અને મારું-તારુંના રાગ-દ્વેષથી દેહની સમર્પણભાવથી થતી પ્રક્રિયામાં અવરોધક બનું છું!’
પ્રભુએ કોઈ પણ ભેદભાવ વગર માનવ શરીરની રચના કરી છે. અર્થાત્ દરેકના શરીરમાં પ્રાણ શક્તિના સત્ત્વને લોહી પ્રસરાવે છે. રાય-રંકના ભેદભાવ વગર શ્ર્વાસ રૂપે પ્રાપ્ત થતું પ્રાણનું સત્ત્વ ફેફસા દ્વારા ઝીલીને લોહી પૂર્ણ દેહમાં પ્રસરાવે છે. લોહીની આ સતત થતી ક્રિયામાં કોઈ આડંબર નથી, કે પ્રભુનું સત્ત્વ ઝીલવાનો અહંકાર પણ નથી. માનવ દેહમાં લોહીના પરિવહનનો પ્રવાસ માર્ગ લગભગ એક લાખ બાર હજાર કિલોમીટર જેટલો છે. આટલો પ્રવાસ લોહી માત્ર ૬૦ સેક્ધડમાં જ પસાર કરે છે. અર્થાત્ પ્રાણનું સત્ત્વ ધારણ કરેલું શુદ્ધ લોહી આખા શરીરમાં એક મિનિટમાં ફરીને શરીરના બીજા અંગો પાસેથી મેળવેલી અશુદ્ધિ સાથે પાછું હૃદયમાં આવે. લોહીમાં ઉમેરાયેલી તે અશુદ્ધિ પછી મૂત્રપિંડની ક્રિયાથી શરીરમાંથી બહાર નીકળી જાય અને અશુદ્ધિથી મુક્ત થયેલું લોહી પાછું ફેફસા પાસે જઈ પ્રભુનું સત્ત્વ ધારણ કરીને શરીરના અંગોને અર્પણ કરી દે. આ બધી ક્રિયામાં મનનો પુરુષાર્થ નથી, પણ ભગવત્ ભાવની ચેતનાનું એટલે કે ઊર્જા શક્તિનું સંચાલન છે.
અખંડ ક્રિયાનું આવું સંચાલન જાણીને જે મનની અહમ્ વૃત્તિ નમે, તે છે ભક્તનું સ્વરૂપ. ભજન-કીર્તન ગાય એટલું સીમિત વર્તન ભક્તનું ન હોય. એ તો ભગવત્ ભાવની ચેતનાનાં સાત્ત્વિક ગુણોને પ્રગટાવતી જ્ઞાતા વૃત્તિનું આસન છે. જ્ઞાતા વૃત્તિનું ભક્તિભાવનું આચરણ એટલું મુશ્કેલ નથી. માનવીને તે મુશ્કેલ લાગે છે કારણ સ્વયંને જાણવાની, કે સ્વયંની ગુણિયલતાને અનુભવવાની તરસ જાગતી નથી. જ્ઞાતા વૃત્તિને ખીલવવા માટે સદ્વિચારોનું અધ્યયન જરૂરી છે. અધ્યયનને જીવનમાં અગ્ર સ્થાને રાખીએ તો મનનો સાત્ત્વિકભાવ જાગૃત થાય. ભાવની જાગૃતિથી જ સ્વયંને અનુભવવાની અંતર યાત્રા થઈ શકે. એટલે જિજ્ઞાસુ ભક્ત તન-મનની ક્રિયાનો ભાવાર્થ તથા પ્રકૃતિમાં થતી સર્જન-વિસર્જનની ક્રિયાનો સંદર્ભ સમજવાનો પુરુષાર્થ કરે. જેથી પ્રભુની ચેતનવંત ઊર્જાથી થતી ક્રિયાઓને જાણીને અહમ્ વૃત્તિનું સમર્પણ થાય અને પ્રભુ સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ સાત્ત્વિકભાવથી થતી જાય. સાત્ત્વિકભાવની જાગૃતિ કરાવતાં આ અક્ષર શબ્દોમાં સ્નાન કરીએ.
મનની અંદરના માહ્યરામાં રોજ રોજ ડોકિયાં કરો અને પૂછજો કે આ તું કોણ છે?
અંગોની વિવિધ પ્રક્રિયા સતત થાય છે, ઊંઘતા કે જાગતાં કોણ કરે છે આ નોકરી?
માનવી રૂપે જન્મ લીધો, પણ શ્ર્વાસ અંદર અને બહાર કાઢતાં કોણ આવી શીખવાડે છે?
આંખોમાં તેજ પૂરી અંધારામાં દેખાડે, કોણ છે આ અંધકાર અને પ્રકાશનો અધિપતિ?
જીભના સ્વાદ રોજ બદલાય છતાં જૂનાની યાદ ત્વરિત આપે, કોણ છે આ સ્વાદ ધરનાર?
વિશાળતાના આવા વિચારો મન જો કરતું રહે, તો સ્વ આવી સ્વયં આપશે ઓળખાણ. (ક્રમશ:)
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા