આપણી ભારતીય સંસ્કૃતિની સરખામણી થઈ શકે એમ નથી. વેદકાલીન ઋષિઓએ સાત્ત્વિક સંસ્કૃતિના મૂળ એટલા ઊંડાણથી અને નિ:સ્વાર્થભાવથી રોપ્યાં છે, જે હજારો વર્ષ પછી પણ મનુષ્યને શાશ્વત બોધને ગ્રહણ કરવાની પ્રેરણા ધરે છે. ઋષિઓએ સાત્ત્વિક વિચારોની સંસ્કૃતિને વ્યક્ત કરી, જેથી લૌકિક જીવન તથા અલૌકિક જીવન જીવવાનો રાહ મનુષ્ય જાણી શકે અને જાણકાર મન આચરણની સંપત્તિને ધારણ કરી શકે. માનવતાના સંસ્કારી આચરણથી સ્વયંના આત્મીય સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા જાગી શકે તથા માનવ જીવનની મહત્તા સમજી શકાય. મહત્તા રૂપે સમજાય કે શરીરમાં વિવિધ અંગો છે. તેની ક્રિયાઓ એકબીજા સાથે સંકળાઈને સતત થતી રહે છે. શરીરના અંગોની ક્રિયા પોતાના મનના વિચારો પર આધારિત રહે છે. એ સત્ય સમજાય ત્યારે સાત્ત્વિક સ્વભાવને જાગૃત કરવાની ઈચ્છા પ્રબળ થતી જાય. કારણ શરીરનું નિરોગી આરોગ્ય મનના સાત્ત્વિક વર્તનથી જળવાય છે. તેથી પ્રાચીન કાળમાં એવી વ્યવસ્થા હતી કે, વિદ્યાર્થીએ ગુરુના આશ્રમમાં રહીને શિક્ષણ પ્રાપ્ત કરવું. જેથી માનવતાના સંસ્કારો સહજતાથી ખીલી શકે તથા સ્વ જ્ઞાન રૂપી સ્નાનથી સાત્ત્વિક વર્તન ધારણ થઈ શકે.
સાત્ત્વિક સંસ્કૃતિ રૂપે માનવ દેહની મહત્તા સમજાય કે, સ્થૂળ આકારનું શરીર ચાલી શકે છે, દોડી શકે છે, બેસી શકે છે, ઊભું રહી શકે છે, ઊંઘી શકે છે, અન્ન-પાણીને ગ્રહણ કરી શકે છે, તથા બીજા કાર્યો શરીરના થયાં કરે છે. પરંતુ તે કાર્યો કરવાની ઈચ્છા કરનાર મન(જીવ) પોતે શરીર નથી, પણ શરીરમાં વસવાટ કરે છે. અર્થાત્ દસ ઈન્દ્રિયોવાળા શરીરના સહારે જીવાત્મા(મન) પોતાની અતૃપ્ત ઈચ્છાઓને તૃપ્ત કરાવતું જીવન જીવે છે. વિચારવાની, સમજવાની, સમીક્ષા કરવાની, સાર-અસારનો વિવેક ધારણ કરવાની, ક્રિયા-પ્રતિક્રિયા દર્શાવવાની, કે અનુભવવાની વિશેષતા માનવી મનને પ્રાપ્ત થઈ હોવાંથી, તે ઈચ્છિત પદાર્થોને ભોગવવાનો આનંદ પણ માણી શકે છે. મનની આવી વિશેષતામાં જ સાત્ત્વિક ગુણોને પ્રગટાવતાં સાત્ત્વિક વર્તનની ચાવી છે. જ્યાં સુધી માનવી સાત્ત્વિક વિચારોના ચતનમાં સ્થિત નથી થતો, ત્યાં સુધી એનું મન એક તાળા જેવું બની રહે છે. મનની ભીતરમાં એટલે કે અંતરમાં સ્થિત થવાં માટે આ તાળું ખૂલવું જોઈએ અને તાળું ખોલવાની ચાવી એટલે જ મનની જાગૃતિ. એવી જાગૃતિ રૂપે સાત્ત્વિક વિચારોના ચતનને, અધ્યયનને, કે એનાં સૂક્ષ્મ ભાવાર્થને ગ્રહણ કરતી બુદ્ધિ ખીલતી જાય. મન રૂપી તાળું ખોલાવતી બુદ્ધિ જાગૃત થાય, ત્યારે જ સ્વયંના આત્મીય સ્વરૂપની દિવ્યતાનો અનુભવ કરવાની લગની જાગે. પછી મનુષ્ય જન્મના હેતુ અનુસાર જીવવાનો આરંભ થાય. સાત્ત્વિક સંસ્કારોના હેતુ અનુસાર જીવન જીવવાનો પ્રયત્ન વધતે ઓછે અંશે બધા જ લોકો કરતાં હોય છે. તેથી તો દરેક સંપ્રદાયના લોકો વાર તહેવારના ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરે છે. ઉજવણી પાછળ મનની જાગૃતિનું, કે બુદ્ધિની ખીલવણીનું જ કારણ હોય છે. પરંતુ તે કારણથી મોટેભાગે અજાણ રહીને માનવી માત્ર ઉજવણીની પ્રવૃત્તિ કરતો રહે છે.
આ ધરતી પર વસનારા દરેક મનુષ્યને આ હેતુનો અણસારો ક્યારેક તો મળે જ છે. જે મન અણસારો ઝીલી શકે, તે જાગૃતિના વર્તનમાં સ્થિત થતાં દૃશ્યમાન આકારોમાં સમાયેલી નિરાકારિત સૂક્ષ્મતાથી પરિચિત થતું જાય. એવાં પરિચય રૂપે મનનું તાળું ખૂલી જાય અને વિવેકી દૃષ્ટિ ધારણ થાય. વિવેકી મનોદૃષ્ટિને શરીરના જન્મ-મૃત્યુનો ભેદ સમજાય. ઘણીવાર માનવીને પોતાના શરીરના મૃત્યુનો સમય નજીક આવે, ત્યારે માનવ જીવનના હેતુનો અણસારો સમજાય કે, "આટલાં વરસોથી જે દેહના સંગમાં રહ્યો, જે દેહને મેં અજ્ઞાનતાથી મારું સ્વ સ્વરૂપ માન્યું, એને છોડીને જવાનો સમય આવ્યો ત્યારે સ્વ સ્વરૂપની ભાળ મળી. ઉપકરણોના સંગમાં સાત્ત્વિક સ્વભાવની જાગૃતિ અસમતોલ રહે છે. મનની અસમતોલતા એકબીજા સાથેની સરખામણી કરતું રહે અને અસમાનતાના વિચારોમાં બંધાયેલું રહે છે. જદગી જે શરીરના સંગમાં વીતાવીએ છીએ, તેનું આરોગ્ય માત્ર કસરત, કે ઔષધિઓ કે ઉપવાસ કરવાથી જાળવી ન શકાય. તે માટે મનની સાત્ત્વિક વિચારોના ભાવાર્થને ગ્રહણ કરવાની બુદ્ધિ જોઈએ, તથા ભાવાર્થ અનુસાર આચરણમાં સ્થિત થવાની પરિપક્વતા જોઈએ. એવી પરિપક્વ મન:સ્થિતિ સ્થૂળ-સૂક્ષ્મની સંબંધિત ક્રિયામાં અવરોધ ન કરે, પણ જાગૃતિના સાત્ત્વિક વર્તન રૂપે પ્રેમભાવથી દરેક પરિસ્થિતિમાં જીવે. એવી સંબંધિત ક્રિયાઓ, એટલે પોતાના દેહની જીવંત સ્વરૂપની સ્થિતિ તથા પ્રકૃતિ જગતની આધારિત સ્થિતિ. મનનો રાગદ્વેષાત્મક અહંકારી સ્વભાવનો અવરોધ જેમ જેમ ઓગળતો જાય, તેમ તેમ પ્રભુ પ્રીતની આત્મીય પ્રતીતિ કરાવતી અંતર યાત્રા થતી જાય. પછી ઉધ્ધારનો માર્ગ શોધવાનો ન હોય. શોધ રૂપે પ્રભુ પ્રીતની ધારાના સ્પંદનો ધારણ થાય, તેને કહેવાય માનવીમાંથી ભક્ત સ્વરૂપનો પ્રાદુર્ભાવ. ભક્તનો ભાવ પ્રભુ પ્રીતના દિવ્ય સ્પંદનોમાં ઓતપ્રોત રહે અને પ્રભુ પ્રીતના અણસારા જ્ઞાન-ભક્તિના સત્સંગથી સમાજમાં વહેતાં મૂકે. (ક્રમશ:)
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા