Article Details

મોહન તારી પ્રીતથી મિત થવું

આ જગતમાં મહાભૂતોની ઊર્જાથી સર્જાયેલી અનેક પ્રકારની આકૃતિઓ છે અને ઉપભોગી પદાર્થોની વિવિધતા છે. એમાં માનવી સિવાયની બીજી બધી કૃતિઓ પોતાની દેહધારી પ્રકૃતિ અનુસારનું જીવન જીવે છે. પરંતુ માનવી મોટેભાગે પોતે ધારણ કરેલી પ્રકૃતિને ભૂલી જાય છે. કારણ તન-મન-ઈન્દ્રિયોના સહારે માત્ર ઉપભોગી પદાર્થોને ભોગવવામાં તે વ્યસ્ત રહે છે. એટલે પોતાની મૂળભૂત પ્રકૃતિને જાણવાનો સમય મળતો નથી, કે જાણવાની ઈચ્છા પણ થતી નથી. મન-બુદ્ધિ-ચિત્તનું વિશેષ પ્રકારનું કૌશલ્ય પ્રાપ્ત થયું હોવાં છતાં, માનવી મારું-તારુંની ભેદભાવની પ્રકૃતિમાં બંધાયેલું તુચ્છ જીવન જીવે છે. મારું-તારું-પરાયું એવી ભેદભાવની પ્રકૃતિ, કે રાગ-દ્વેષાત્મક વિચાર-વર્તનની પ્રકૃતિ માનવીને અર્પણ નથી થઈ. મન-બુદ્ધિને સાત્ત્વિકભાવનું કોશલ્પ અર્પણ થયું છે, જેથી તે પોતાના સ્વ સ્વરૂપની દિવ્યતાને અનુભવી શકે. અર્થાત્ પ્રભુની આત્મીય ચેતનાના અવિભાજિત અંશ રૂપે મન રૂપી વાહનની વિશેષ પ્રાપ્તિ થઇ છે. પરંતુ રાગ- દ્વેષાત્મક વર્તનના કર્મસંસ્કારોનું આવરણ મન પર પથરાઈ જતાં, પોતાના સ્વ સ્વરૂપની દિવ્યતાનું, એટલે કે પ્રભુ સાથેના અાત્મીય સંબંધનું સ્મરણ મનને થતું નથી!

 

આત્મીય સંબંધના વિસ્મરણને લીધે માનવી પશુ જેવું જીવન નથી જીવતો, પણ પશુ જેવી સીમિત વૃત્તિથી તે માત્ર અળ, ઘર, વસ્ત્ર વગેરે ભોગ્ય પદાર્થોને મેળવવાની મહેનતનું જીવન જીવે છે, એવું જીવન તે એટલે મન રૂપી મર્સીડીસ ગાડીને માલ સામાનની હેરાફેરી કરતી હાથગાડીની જેમ વાપરવી, મન રૂપી શ્રેષ્ઠ વાહનના હેરાફેરી જેવા વપરાશથી એનું સાત્ત્વિકભાવનું કૌશલ્ય રૂંધાઈ જાય છે. એટલે પરભવ પુણ્યના પ્રભાવથી જ્યારે સ્વયંને જાણવાની જિશાસા જાગે છે અને સત્સંગની આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ માનવી ઢળે છે, ત્યારે પોતાના મનને સાત્ત્વિક વિચાર-વર્તનમાં સ્થિત રાખવાનું મુશ્કેલ લાગે છે. મનની એવી મુશ્કેલી પણ દૂર થઈ શકે, જો સ્વમય અંતરયાત્રાનો સંકલ્પ દૃઢ હોય. સંકલ્પની દઢતાને જો વાસ્તવિક સત્ દર્શનની પુષ્ટિ મળતી રહે, તો રૂંધાયેલો મનનો સાત્ત્વિક પ્રભાવ જાગૃત થઈ શકે. સત્ દર્શનની પુષ્ટિ ઘારણ થાય જ્યારે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં, ત્યારે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ કરાવતી જ્ઞાન-ભક્તિમાં મન સ્થિત થતું જાય, પછી જીવંત જીવનનો આશય સ્પષ્ટ થતો જાય, કે પ્રેમભાવથી જીવવાનું છે અને એકબીજા સાથેના ઋણાનુબંધને લીધે વસ્તુ, વ્યક્તિ, કે પરિસ્થિતિ સાથેનું અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોનું જીવન જીવવું પડે છે.

 

સામાન્ય રૂપે માનવી મનમાં લોકિક પદાર્થોને ભોગવવાની ઈચ્છાઓ હોય, તથા અમુક વ્યક્તિગત સંબંધોની મનગમતી પરિસ્થિતિને ભોગવવાની ઈચ્છાઓ હોય. ઈચ્છાઓની અતૃપ્તિમાં ભોગ રૂપે પ્રેમની પ્રસન્નતાને માણવાની જ ઈચ્છા હોય છે. એટલે સત્ દર્શન રૂપે મનોમન જો સમજણપૂર્વક સ્વીકાર કરીએ, કે એકબીજા સાથેના સંબંધમાં પ્રેમની પૂર્તિ થાય એવું વર્તન જરૂરી છે, તો ભોગ રૂપે ઈચ્છાઓ શાંત થતી જાય અને અતૃપ્ત ઈચ્છાઓનું આવરણ ઘટતું જાય. સત્સંગી મન આ સમજણને સ્વીકાર્યા પછી પણ પ્રેમની નિઃસ્વાર્થતા ભૂલીને પ્રેમાળ વર્તનના મહોરાં પહેરે છે. કારણ માનવીને પોતાની બુદ્ધિનો, પદવીનો, આર્થિક સમૃદ્ધિનો એટલો બધો અહંકાર હોય છે, કે સરખામણી કરવાના ભેદભાવમાં પ્રેમની નિર્મળતા જાગૃત થઈ શકતી નથી. માનવી પાસ રૂપે નિઃસ્વાર્થ પ્રેમનો સ્પર્શ ક્ષણે ક્ષણે કરે છે, પણ અહંકારી વર્તનના લીધે માત્ર જીવંત જીવનનું સત્ત્વ મેળવે છે. તેથી નિઃસ્વાર્થ પ્રેમની સાત્ત્વિકતાને ગ્રહણ કરી શકતો નથી. એટલે રાગ-દ્વેષાત્મક અહંકારી સ્વભાવના લીધે પ્રભુની પાસની ચેતનાનો અનાદર થયાં કરે છે.

અનાદર કરતું અજ્ઞાની માનસ શ્વાસની નિઃસ્વાર્થ પ્રેમની સાત્ત્વિકતાને ઝીલી શકતું નથી. એટલે પ્રભુની સમીપતાની અનુભૂતિ અહંકારી માનસને પતી નથી, એવું અજ્ઞાની મન સર્વવ્યાપક પ્રભુની હાજરીને માત્ર મંદિરની મૂર્તિમાં જુએ છે. પ્રભુની ચેતનાનો સંગ સતત થતો રહે છે. તેની સમીપતાને જો અનુભવી ન શકાય તો સમજી જવું કે મન રૂપી હોડીમાં અજ્ઞાની, અહંકારી રાગ-દ્વેષાત્મક વૃત્તિ-વિચારોના છિદ્રો છે. એવી હોડી પ્રભુના મહાસાગરમાં તરી ન શકે. એવી હોડીને સાગરમાં તરવું છે પણ ભીના નથી થવું. અર્થાત્ સંસારી રાગ દ્વેષના વિચાર-વર્તન રૂપી કિનારાને છોડવા નથી, કિનારાનું વળગણ ન છૂટે તો સાગરમાં તરવાનું અશક્ય છે. જ્યાં સુધી બુદ્ધિ ચાતુર્યનો અહંકાર છે, ત્યાં સુધી અહમ વૃત્તિઓનું સમર્પણ થતું નથી. કિનારાની રેતી કે માટી તો સાગરના પાણીથી જેમ ભીની થયાં કરે, તેમ જીવંત જીવનનું સત્ત્વ માનવીને મળી રહે છે. પરંતુ પ્રભુના સાત્ત્વિક ગુણો રૂપી નિઃસ્વાર્થ પ્રેમની ચેતનાના વહેણમાં તરવા માટે કિનારાના મોહથી મુક્ત થવું પડે.

 

જિજ્ઞાસુ ભક્ત ચેતનાના વહેણમાં તરવા માટે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહે છે. જેથી લૌકિક કિનારાની માટીના મોહથી મુક્ત કરાવતાં જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થઈ શકાય. સાંનિષ્પ રૂપે મનનો શરણભાવ જાગૃત થાય અને જ્ઞાન-ભક્તિ રૂપે મોહનું નિવારણ થતું જાય, મોહ છોડવો મુશ્કેલ તેને લાગે જેને પ્રભુ રૂપી સાગરનો પરિચય નથી. સાગરની વિશાળતાનો, ઊંડાણનો એના નિઃસ્વાર્થ પ્રેમના વહેણનો, એની શાશ્વત અમૃત ધારાનો જેને ખ્યાલ નથી, તેને માટે કિનારા સિવાય બીજું કંઈ નથી. એવાં અજ્ઞાની માનસને લીધે તેઓ કિનારાને જ મહત્તા આપે છે. તેઓ એવી માન્યતાથી જીવે છે, કે બધી ઈન્દ્રિયોથી કિનારા રૂપી લૌકિક સંસારને અનુભવી શકાય છે અને પ્રભુ સાગર તો અદશ્ય છે. એવું મન દશ્યમાન પદાર્થોના ભોગમાં જે અદશ્ય છે એવાં સૂર-સ્વરનો, કે સ્વાદનો જ્યારે અનુભવ કરે, ત્યારે અદૃશ્ય દશ્યના સંબંધનો ભેદ જો સમજાય તો કિનારાનો મોહ છૂટતો જાય. પછી પ્રભુને વિનંતિ થાય કે

 

મોહન તારી પ્રીતથી મિત થવું છે, માટીના મોહને ઓગાળી દેજો

ભક્તિ ભાવનો રંગ લગાડ્યો તમે, અનન્ય કૃપાની મહેર વરસાવી તમે;

શ્વાસની મહેકમાં મારું-તારું ના રહ્યું, અંતર ધન પ્રગટે તારા ભાવથી;

ચક્ષુ દાનથી તારા દર્શન થાય રે, મોહન તારા તેજમાં આવરી લેજે.

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા